પ્રશ્ન:માથું ક્યાંક જોરમાં અફળાય તો પણ ધોળે દિવસે નજર સામે જાણે લાલ, પીળા અને લીલા તારા દેખાતા હોય એ જાતનો આભાસ કેમ થાય છે ?
જવાબ: જોવાની ક્રિયામાં આંખનું કાર્ય ફક્ત કેમેરાના લેન્સ જેવું છે. નજર સામેનું દ્રશ્ય જેમના વડે બનેલું હોય એ પ્રકાશનાં કિરણોને આંખ પોતાના કોષો થકી ઝીલે છે. વિવિધ કિરણોનું ત્યાર બાદ વિદ્યુત સિગ્નલોમાં રૂપાંતર કરીને તેમને મગજ તરફ રવાના કરે છે. સિગ્નલોના આધારે જે તે રંગવાળું દ્રશ્ય જુએ છે અંતે મગજ, આંખ નહિ.
કોઈ વાર માથું ક્યાંક જોરમાં ટકરાય ત્યારે આંખો તો આપોઆપ બંધ થાય છે, માટે બહારનો પ્રકાશ તેમાં પ્રવેશતો નથી. પ્રકાશ ન મળ્યો હોય, એટલે મગજને આંખે વીજળીનાં સિગ્નલો મોકલવાનો પણ સવાલ નહિ. આમ છતાં કલ્પી લો કે હાથમાં પકડેલી સિતાર નીચે પડી અને પછડાટને લીધે તાર આપોઆપ ઝણઝણી ઊઠ્યા. એ પછી એમ કલ્પી લો કે આપણું દશેરિયું માથું જ સિતાર છે. પછડાટ વાગતાં જ નેત્રકોષો આઘાત પામી જાય છે અને દબાણને લીધે કેટલાંક વીજળીક સિગ્નલોને નેત્રતંતુ દ્વારા મગજ તરફ રીલિઝ કરી દે છે. સિગ્નલો કશા ઢંગધડા વગરનાં હોય છે, કેમ કે વ્યવસ્થિત દ્રશ્યનાં પ્રકાશકિરણો તો આંખમાં દાખલ થયાં હોતાં જ નથી.
અલબત્ત, મગજ તે વાત શી રીતે જાણે ? સિગ્નલો મળે કે તરત પોતાની આદત મુજબ એ તો દરેકને જે તે રંગના ટપકામાં ફેરવવા માંડે છે. ટપકાં એ જ તારા, જેમનાં દર્શન આપણને ક્યારેક ધોળે દિવસે પણ થાય છે !