
મનુષ્ય શરીર માટે ઉંઘ શ્રેષ્ઠ ટોનિક છે, તથા અનિવાર્ય છે. સામાન્યતઃ આપણે સૌ ચોવીસ કલાકમાંથી લગભગ આઠેક કલાક ઉંઘ લેતા હોઈએ છીએ. તંદ્રાવસ્થા તથા નિંદ્રાવસ્થામાં
આપણું અર્ધજાગૃતમન કાર્યરત થતું હોય છે. આ ર્દષ્ટિએ ઉંઘનું મહત્વ ખૂબ વધી જાય છે. જો યોગ્ય જગ્યાએ ઉંઘ કરવામાં આવે તો થાક ઉતરી જાય છે. શરીરમાં નવી સ્ફુર્તિનો સંચાર થાય છે. સુંદર સ્વપ્ન આવે છે તથા અર્ધજાગૃતમન પ્રફુલ્લિત રહે છે અને તેથી જ આપણા ઋષિ મુનીઓએ શયનખંડ બાબતમાં કેટલાક ચોક્કસ નિયમો સૂચવ્યા છે.
સૌ પ્રથમ તો એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે કદી દક્ષિણ કે નૈઋત્ય દિશામાં પગ રહે તે રીતે ન સુવું જોઈએ. આવી રીતે સૂવાથી ચૂંબકીયતરંગોની ઉર્જા શૂન્ય પ્રાપ્ત થાય છે. આ રીતે સૂતેલા વ્યકિત હમેશા થાકેલા, બિમાર તથા ચીડીયા જણાય છે. તેમના સુક્ષ્મ શરીરની પરતો અસ્તવ્યસ્ત બની જાય છે. તથા રોગ પ્રતિરોધક શક્તિ નબળી પડે છે. દક્ષિણ બાજુ પગ રાખી સુવાથી પિતૃઓનો અનાદર થાય છે, પાચન શક્તિ નબળી પડે છે. જે લોકોને વિદ્યા કે જ્ઞાનની પિપાસા હોય તેમણે પૂર્વ બાજુ મસ્તક રાખી સુવું જોઈએ. જે લોકોને ભોગ- વિલાસ- સંપતિની આકાંક્ષા હોય તેમણે દક્ષિણ બાજુ મસ્તક રાખી સુવું જોઈએ. અધ્યાત્મમાં આગળ વધનારા લોકો પશ્ચિમ દિશામાં મસ્તક રાખી સૂઈ શકે. આપણા શાસ્ત્રમાં ક્યા પડખે સુવું જોઈએ તે બાબત પર પણ ઉલ્લેખ છે, જેના પરથી લોક બોલીમાં કહેવામાં આવ્યું છે કે,
ઉંધો સૂવે અભાગીયો ને ચતો સૂવે રોગી ડાબે સૂવે સૌ કોઈને જમણે સૂવે જોગી,
જો કે અન્ય શાસ્ત્રની જેમ જ આ બાબતમાં પણ કેટલાક મત મતાંતર પ્રવર્તે છે. હવે આપણે શયનખંડની બાબત પર આવીએ. શયનખંડમાં કોઈ ખૂણો કપાયેલો ન હોય તો ઈચ્છનિય છે. એટલે કે શયનખંડ ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. ઘરના મુખ્ય વ્યક્તિએ નૈઋત્ય દિશામાં બનાવેલો બેડરૂમ ઉપયોગમાં લેવો જોઈએ. જે વ્યક્તિ ઘરનો આધાર સ્તંભ હોય તેણે ઘરમાં પોતાનું પ્રભુત્વ બનાવી રાખવા નૈઋત્ય દિશાના બેડરૂમમાં શયન કરવું જોઈએ. કેટલાક વાસ્તુશાસ્ત્રી વિકલ્પ તરીકે વાયવ્ય દિશાનું સૂચન કરે છે. પરંતુ અમારા અનુભવથી એવું તારણ નીકળ્યું છે કે, મુખ્ય વ્યકિતનો શયનખંડ સામાન્યતઃ નૈઋત્યમાં જ હોવો જોઈએ. શયન ખંડને સામાન્ય રીતે ઈશાન કે અગ્નિકોણમાં ન બનાવવો જોઈએ. લગ્ન ન થયા હોય તેવી વ્યક્તિનો બેડરૂમ વાયવ્ય કે ઈશાનમાં બનાવી શકાય. પરંતુ અગ્નિકોણમાં શયનખંડ ન જ બનાવવો જોઈએ. એક થી વધારે બેડરૂમ બનાવવા હોય તો નૈઋત્યથી પશ્ચિમે તથા નૈઋત્યથી દક્ષિણે બનાવી શકાય. ઈશાન તથા અગ્નિ ખૂણે બનેલા બેડરૂમમાં રોગી વ્યક્તિ કે સુવાવડી સ્ત્રીએ કદી સુવું ન જોઈએ. બાળકોને સ્ટડીરૂમ તથા બેડરૂમ પૂર્વ કે ઈશાન કે ઉત્તરમાં બનાવી શકાય.
જો બે માળનું મકાન હોય તો ઈચ્છનીય છે કે મુખ્યવ્યક્તિનો બેડરૂમ ઉપરના માળે નૈઋત્ય દિશામાં બનાવવામાં આવે. વાયવ્ય ખૂણામાં મહેમાનો માટેનો કે વધારાનો બેડરૂમ બનાવી શકાય. બેડરૂમમાં કબાટ, તિજોરી અથવા તો કોઈ ભારે ફર્નિચર રાખવું હોય તો નૈઋત્ય ખૂણામાં રાખી શકાય. ટીવી, વીસીઆર, જેવી ઈલેકટ્રીક કે ઈલેકટ્રોનિક વસ્તુઓ અગ્નિ ખૂણામાં ગોઠવવી જોઈએ. ઉત્તર કે પૂર્વમાં લાઈબ્રેરી, ડાયરી, કાગળ, મિરર વિગેરે વસ્તુઓ ગોઠવી શકાય. બેડરૂમમાં કોઈપણ જોડીવાળુ ચિત્ર કે મૂર્તિ રાખી શકાય. બેડરૂમની દિવાલોનો રંગ ઘરની અન્ય દિવાલોના રંગથી જુદો કરવો જોઈએ. ગ્રે, ઘેરો બ્લુ, ઘેરો લીલો, આછો ગુલાબી, આછો ભુરો કે જાંબલી રંગ બેડરૂમની દિવાલોને કરી શકાય.
બેડરૂમની સાથે હવે સામાન્યતઃ એટેચ બાથરૂમ બનાવવામાં આવે છે. આ બાથરૂમનો દરવાજો દક્ષિણ તરફ રાખી શકાય. અગાઉ વાત કરી ગયા તે મુજબ બેડરૂમમાં કદી પૂજા ન ગોઠવવી. શકય હોય ત્યાં સુધી દેવી-દેવતાના ચિત્રો પણ આ રૂમમાં ન મૂકવા જોઈએ. પલંગ કે સેટી શકય હોય ત્યાં સુધી લાકડાના ઉપયોગથી બનાવવા, લોખંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. વળી સેટી કે પલંગને બેડરૂમમાં સાવ વચ્ચે ન રાખવા જોઈએ. ઋષિ પરંપરામાં બ્રહ્મચારી એટલે કે, આજના અપરિણીત વ્યકિતએ જમીન પર સાદી પથારી પાથરી સુવુ જોઈએ. વળી રોગીષ્ટ વ્યકિતઓ માટે લીમડાના પાનની પથારી, નગોડાના પાનની પથારીનું સુચન પણ જોવા મળે છે. અગાઉના સમયમાં ઘરની અંદર ટોઈલેટ વજર્ય હતા. પરંતુ આજે આપણે ઓરડે બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ.??? ઋષિકાળમાં બાથટબની, ઝાકુઝી બાથની, શાવરની કલ્પના ન હતી. પરંતુ આજના ભૌતિક યુગમાં પૈસા ખર્ચો તેમ વધુને વધુ સગવડ પ્રાપ્ત કરી શકો છો, એ મુજબ મોટા એટેચ્ડ બાથરૂમ, કમોડ વિગેરે ફિટ કરવામાં આવે છે. બાથરૂમમાં મિરર એ રીતે લગાવવો જોઈએ જેથી આપણે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી અરીસામાં જોઈ શકીએ. શયનખંડમાં વધુ પોઝીટીવ વાઈબ્રેશન ઉત્પન્ન કરવા માટે હળવું સંગીત વાગે તે રીતનું આયોજન કરી શકાય. આ ઉપરાંત રૂમ સ્પ્રેનો ઉપયોગ પણ ઈચ્છનીય છે. સાથે સાથે બ્લુ કે પિંક રંગની આછી લાઈટ પણ રાખી શકાય. જેથી શયનખંડમાં સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરી શકાય.