ડો. બી. જી. ચંદારાણા
મનુષ્યનું વલણ મોટે ભાગે ભૌતિકવાદી હોય છે, પરિણામે દિવ્યશાસ્ત્રોમાંથી પણ મનુષ્ય ભૌતિક લાભ મેળવવા જાણ્યે અજાણ્યે મજે છે.
જ્યોતિષશાસ્ત્ર એક દિવ્યશાસ્ત્ર છે, તેનો મૂળભૂત ઉદ્દેશ મનુષ્યના ભૌતિક કે સાંસારિક જીવનની ઘટનાઓનું ફળકથન કરવાનો નથી, પરંતુ મુખ્યત્વે વેદાધ્યયન માટે ઉપયુકત ભૂમિકા પૂરી પાડવાની છે, તેથી જ જ્યોતિષને વેદનું એક અંગ ગણવામાં આવ્યું છે. વેદના ષડંગ પૈકી જ્યોતિષ એક વેદાંગ છે.
વેદનો મૂળભૂત ઉદ્દેશ પરમાત્માની અને આત્માની પ્રાપ્તિનો છે, તેથી તેની સંગતિ પ્રમાણે જ્યોતિષનો મૂળ ઉદ્દેશ તો આત્મા-પરમાત્માની ઉપલબ્ધિનો જ છે, જો કે જ્યોતિષશાસ્ત્ર દ્વારા મનુષ્યના જીવનની સ્થૂળ ઘટનાઓનો નિર્દેશ મળી રહે છે તે એક અલગ બાબત છે, ત. કદાચ જ્યોતિષશાસ્ત્રની ઉપ-ઉત્પતિ (By-Product) છે.
(૧) મનુષ્ય વર્તમાનમાં આધ્યાત્મિકતાની કઈ સ્થિતિમાં છે ?
(૨) પૂર્વ-જન્મની તેની સાધના-ઉપાસના શું હતી ?
(૩) ભાવિ જન્મમાં તેની આધ્યાત્મિક પ્રગતિની કેવીક સંભાવના છે ?
(૪) ક્યા ગ્રહની સવિશેષ સહાય તેને માટે પ્રેરક અને પ્રગતિદાયક બની શકે તેમ છે ?
(૫) પ્રકૃતિનાં ક્યાં પરિબળો તેને આધ્યાત્મિક માર્ગે જતાં અવરોધક બને છે ?
આ બધા પ્રશ્નનોના ઉત્તર મેળવવા માટે મુખ્યત્વે જે બે પાયાની બાબતો છે, તેનો જ અભ્યાસ કરવાનો ઉપક્રમ આ લેખમાં રહેલો છે, તે બે બાબતો નીચે પ્રમાણે છે –
(૧) જન્મકુંડળીના આધારે પ્રકૃતિના ત્રણ ગુણો પૈકી ક્યા ગુણનું આધિપત્ય જાતકમાં છે?
(૨) પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ પાંચ તત્વ પૈકી ક્યા તત્વનું આધિપાત્ય ગ્રહને કારણ તે જાતક પર છે?
આ બે બાબતો – ગુણ અને તત્વ – એટલા માટે મહત્વનાં છે કે મનુષ્યનું શારીરિક અને માનસિક બંધારણ આ બે બાબતો પર જ અવલંબે છે. સત્વ, રજસ, તમસ એ ત્રણ ગુણોનો સંબંધ મન સાથે છે. જ્યારે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશનો સંબંધ શરીર સાથે છે.
જન્મકુંડળીમાં ગુણ અને તત્વનો અભ્યાસ કરવા માટે? ગ્રહોના ગુણતત્વનું જ્ઞાન જરૂરી છે, જે નીચે પ્રમાણે છે –
(અ) તત્વની ર્દષ્ટિએ ગ્રહોનું વિભાજન
પૃથ્વી – બુધ
જલ – ચંદ્ર, શુક્ર
તેજ – સૂર્ય, મંગળ, કેતુ
વાયુ – શનિ, રાહુ
આકાશ – ગુરુ
(બ) ગુણની દ્રષ્ટિએ ગ્રહોનું વિભાજન
સત્વગુણ - સૂર્ય, ચંદ્ર, ગુરુ
રજસગુણ - બુધ, શુક્ર
તમસગુણ - મંગળ, શનિ, રાહુ, કેતુ
આ રીતે ગ્રહોનાં તત્વ અને ગુણને સમજી લીધા પછી, રાશિ વિષયક કેટલીક પાયાની બાબતો જાણવી જરૂરી છે, કારણ કે રાશિ એ ગ્રહોનું ફલક છે અથવા વિહાર સ્થાન છે. જેમ શ્વેત પરદા પર રંગીન ચિત્ર બને તેમ રાશિની પીઠિકા ઉપર ગ્રહો ઊપસે છે. આથી કોઈ પણ ગ્રહ પોતાની જે આગવી સત્તા અને શક્તિ છે તેનો નિખાર કેટલે અંશે કરી શકશે તેનો સંપૂર્ણ આધાર રાશિ પર રહે છે. આથી રાશિ વિષયક અનેક બાબતો જાણવી જોઈએ, જેમાં રાશિનું તત્વ, તેનાં હ્સ્વાદિ સ્વરૂપો, સ્થાન, બળ, તેની જાતિ, ક્રૂર-સૌમ્યવાદિ સ્વભાવ, સત્તા વગેરે અનેક બાબતોનો સમાવેશ કરી શકાય. અહીં તો મુખ્યત્વે રાશિના તત્વને જાણવું વધુ ઉપયુક્ત બનશે, રાશિનાં તત્વ નીચે પ્રમાણે છે –
રાશિ – ૧, ૫, ૯ અગ્નિ તત્વ
રાશિ – ૨, ૬, ૧૦ પૃથ્વી તત્વ
રાશિ – ૩, ૭, ૧૧ વાયુ તત્વ
રાશિ – ૪, ૮, ૧૨ જલ તત્વ
આટલી ભૂમિકાને આધારે જાતકની કુંડળીમાં ક્યા ગુણ અને ક્યાં તત્વનું આધિક્ય કે પ્રભુત્વ રહેલું છે, તે નક્કી કરી શકાય, જેમાં સમગ્ર કુંડળીનાં બાર ભાવો પૈકી લગ્ન, પંચમ અને નવમ ભાવ ઉપર ક્યા ગુણ – તત્વ વધુ પ્રભુત્વ ધરાવે છે તે જોવું જરૂરી છે, કેમકે આ ત્રણ સ્થાનો મનુષ્યની આધ્યાત્મિક સ્થિતિ અને ગતિનાં પ્રબળ સૂચકો છે :
એક ઉદાહરણ દ્વારા ગુણ-તત્વના આ સિદ્ધાંતને ચરિતાર્થ કરીએ :
શ્રી રમણ મહર્ષિની જન્મકુંડળી નીચે પ્રમાણે છે.
લ.- ૭, સૂ.- ૯,ચં.- ૩,મં.- ૧,બુ.- ૮,ગુ.- ૧૧,શુ.-૮,શ.- ૧૨ રા.- ૯,કે.- ૩
શ્રી રમણ મહર્ષિ એક મહાન આધ્યાત્મિક મહાપુરુષ હતા, તેમના તે પાસાંના અભ્યાસ માટે તેમની જન્મકુંડળીના લગ્ન, પંચમ, નવમ ભાવને લક્ષ્યમાં રાખીને તત્વોના અભ્યાસ કરતાં નીચેના અગિયાર મુદ્દાઓ હાથવગા થાય છે.
(૧) નવમા ભાવમાં મિથુન રાશિ – વાયુ તત્વ
(૨) નવમા ભાવમાં ચંદ્ર – જલ તત્વ
(૩) નવમા ભાવમાં કેતુ – તેજ તત્વ
(૪) નવમેશ બુધ વૃશ્ચિકમાં – જલ તત્વમાં
(૫) બુધની યુતિમાં શુક્ર – જલ તત્વ
(૬) લગ્ને તુલા રાશિ – વાયુ તત્વ
(૭) પાંચમાં સ્થાને કુંભ – વાયુ તત્વ
(૮) કુંભમાં ગુરુ – આકાશ તત્વ
(૯) પંચમેશ શનિ – વાયુ તત્વ
(૧૦) પંચમેશ શનિ મીનમાં – જલ તત્વમાં
(૧૧) લગ્નેશ શુક્ર વૃશ્ચિકમાં – જલ તત્વમાં
લગ્ન, પંચમ અને નવમ ભાવ પરથી ઉપરોકત જે અગિયાર તારણો કાઢ્યાં છે તેનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તેમાં –
(અ) પાંચ બાબતો જલ તત્વની છે.
(બ) ચાર બાબતો વાયુ તત્વની છે.
(ક) એક બાબત તેજ તત્વની છે.
(ડ) એક બાબત આકાશ તત્વની છે.
આમ, સૌથી વધુ જલ તત્વનું આધિક્ય છે, તેને લીધે શ્રી રમણ મહર્ષિના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રગાઢ શાંતિ, શીતળતા વગેરે જલીય ગુણો હતાં. તેઓ બહુ જ ઓછું બોલતા, ભાગ્યેજ બહાર નીકળતા. તેમની ભીતર પરમ શાંતિનો સદાય નિવાસ રહેતો. તેમની ઉપસ્થિતિ – માત્ર મનુષ્યને શાંતિ અને શીતળતા અર્પતી. તેમના આ જલ જેવા શીતલ વ્યક્તિત્વનો સ્પર્શ આગંતુક વ્યક્તિને કઈ રીતે થતો ? એ તરંગોને આગંતુક વ્યક્તિ સુધી કોણ પહોંચાડતું ? તેનો જવાબ છે વાયુ, કે જે ઉપરોક્ત તારણ પ્રમાણે જલ પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે. જેમ સરોવરને કિનારે અને જલ પરથી પવન આવે એ આપણને સ્પર્શે અને જલની શીતલતા અનુભવાય તેવું અહીં પણ બને છે.
તત્વની દ્રષ્ટિએ ગ્રહોનાં રાશિસ્થાન જોતાં મહર્ષિ રમણની કુંડળીમાંથી એક મહાન સત્ય સાંપડે છે – સૂર્ય, મંગળ, રાહુ એ ત્રણ ગ્રહો અગ્નિ તત્વની રાશિ (૯, ૧, ૯)માં છે. બુધ, શુક્ર, શનિ અને ત્રણ ગ્રહો જલ તત્વની રાશિ (૮, ૮, ૧૨)માં છે તથા ચંદ્ર, ગુરુ, કેતુ એ ત્રણ ગુણો વાયુ તત્વની રાશિ (૩, ૧૧, ૩)માં છે. આમ, કુલ નવ પૈકી ત્રણ-ત્રણ ગ્રહો તેજ, જલ, વાયુમાં સમાન રીતે વહેંચાયેલા છે, ઉપરાંત દરેક તત્વની એક રાશિ બે-બે ગ્રહોની યુતિ ધરાવે છે. જેમ કે ધનરાશિ (તેજ)માં સૂર્ય, રાહુ, વૃશ્ચિક (જળ)માં બુધ, શુક્ર, મિથુન (વાયુ)માં ચંદ્ર-કેતુ છે.
આમ ગ્રહોની તત્વગત અવસ્થા અત્યંત સમતોલ છે, જે મહર્ષિની અગત્યંત શાંત, સ્વસ્થ, સૌમ્ય અને સામ્યાવસ્થાનું સચોટ અને અચૂક નિર્દેશન કરે છે.
આમ, રાશિ અને ગ્રહના ગુણ-તત્વને આધારે કુંડળીમાં લગ્ન, પંચમ અને નવમ ભાવનો અભ્યાસ કરવાથી જાતકની આંતરિક પકૃતિનતું સ્પષ્ટ અને અસંદિગ્ધ ચિત્ર પ્રાપ્ત થાય છે, જેના આધારે જાતકની આત્મ વિષયક– અધિ-આત્મ (અધ્યાત્મ) અવસ્થાનું એક એવું સૂત્ર હાથવગું થાય છે, જેને પકડીને જાતક પોતાની આધ્યાત્મિક યાત્રાને સુગમ, સરળ, અને ખાસ તો ધ્યેયલક્ષી બનાવી શકે.