
- ત્રણ દી‘ ચાલનારા મેળામાં રાસ-ગરબાની રમઝટ, રાત્રે સંતવાણી અને
લોકડાયરો યોજાશે પશુમેળો તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન
ખડ, પાણી ને ખાખરા પથ્થરનો નહીં પાર,વગર દીવે વાળું કરે ભલો આ પાંચાળ.
પાંચાળ પ્રદેશ એટલે સંત, શૂરા અને સંતોની ભૂમિ. ગુરુ ગેબીનાથ, મા ચામુંડા, સતી અનસૂયા, મેપા ભગતના જ્યાં બેસણાં છે એવા આ પ્રદેશમાં જ્યાં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો, ભગવાન શંકરે પોતાનું ત્રીજું લોચન ખોલીને કામને ભસ્મ કર્યો હતો, ઋષીઓએ ગંગાજીનું અવતરણ કર્યું હતું એ જગ્યા એટલે તરણેતર. અહીં દર વર્ષે ઋષીપંચમીના દિવસે ભાતીગળ લોકમેળો યોજાય છે. જેમાં આ પ્રદેશની લોકસંસ્કૃતિના દર્શન થાય છે.
આ વર્ષે તા. ૨-૯-૨૦૦૮ થી તા. ૪-૯-૨૦૦૮ના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના મળી આશરે પાંચથી સાત લોકો ઉમટશે એવો અંદાજ છે.
તા. ૨-૯ના મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન તેમજ દીપ પ્રાગટ્ય બાદ આ મેળો ખુલ્લો મૂકવામાં આવશે. વન-પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી જે. ડી. ભાડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ રાવલ, જિલ્લા પોલીસ વડા શ્રી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
સવારે ૧૧ વાગ્યે રાજ્ય સરકાર દ્વારા આયોજીત પશુમેળો, માહિતી ખાતાનું પ્રદર્શન, ખેતીવાડી ખાતાના પ્રદર્શનો ખુલ્લાં મૂકવામાં આવશે.
રાત્રીના ૯-૩૦ વાગ્યે મેળાના મેદાનમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા કલાકારો ભજનોની રમઝટ બોલાવશે.?
પરંપરા મુજબ પાળિયાદની જગ્યાના મહંતશ્રીના હસ્તે અહીં ધ્વજારોહણ કરવામાં આવે છે. તા. ૦૩-૦૯-૨૦૦૮ના રોજ ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે. જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિવિધ રાસમંડળી, શણગારેલા બળદ ગાડાં, ઘોડેસવારો જોડાશે. પાળિયાદના મંહત શ્રી ઉમાબાની ઉપસ્થિતિમાં નીકળનારી આ શોભાયાત્રામાં મહંતો સર્વ શ્રી કિશોરબાપુ, બાલકદાસબાપુ, બંસીદાસબાપુ ઉપરાંત સાંસદ શ્રી સોમાભાઈ પટેલ, જિલ્લાના રાજકીય આગેવાનો વગેરે જોડાશે.
બપોરે ૪ વાગ્યે ત્રિનેત્રશ્વર મહાદેવના મંદિરે પાળિયાદની જગ્યાના મહંત શ્રી ઉમાબાના હસ્તે ધ્વજારોહણ થશે. આ પછી ઉપસ્થિત સંતો, મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. રાત્રે ૯-૩૦ વાગ્યે માહિતી ખાતા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
તા. ૪ના રોજ ઋષીપંચમીના દિવસે મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં સવારે છ વાગ્યે ગંગાજીનું અવતરણ થયા પછી મંદિરના મહંત શ્રી છગનગિરિબાપુ દ્વારા ગંગાજીની આરતી થશે. આ પછી ભાવિકો કુંડમાં સ્નાનનો લાભ લેશે.
બપોરના એક વાગ્યે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના મંત્રીમંડળના સભ્યોનું આગમન થશે. તેઓ ગ્રામીણ રમતોત્સવની મુલાકાત લઈ શિવપૂજન કરશે. બપોરે બે વાગ્યે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અભિવાદન સમારંભ યોજાશે. જેમાં પશુમેળા તથા અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો એનાયત થશે. રાત્રીના ૮ વાગ્યે લોકડાયરો યોજાશે. જેમાં નામાંકીત કલાકારો લોકગીત, ભજન, લોકવાર્તા રજૂ કરશે.
તા. ૫ના રોજ ગંગાવિદાય બાદ બપોરે ૧૨ વાગ્યે મેળાની પૂર્ણાહુતિ થશે.