આગામી ઓગસ્ટમાં ફીલીપીન્સમાં યોજાનારી મીસ અર્થ સ્પર્ધા થયા બાદ તેની સૌ પ્રથમ ફરજ ગુજરાતના જંગલો અને ગીરના સંવર્ધનની રહેશે. એમ મીસ ઇન્ડિયા તન્વી વ્યાસે જણાવ્યું હતું. મીસ ઇન્ડિયા અર્થ તન્વી વ્યાસ મૂળ વડોદરાની છે. જૂનાગઢ ખાતે ગ્રામીણ વિસ્તારોમાંથી કલાકારોની કલાને પ્રોત્સાહિત કરતાં તન્વીએ જણાવ્યું હતું કે આજના સમયમાં રિટેલ માર્કેટ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે અઢી લાખ લોકોને રોજી મળશે.
આ ઉપરાંત તન્વીએ દેશની હસ્તકલા અને કારીગરી તેમજ એમ્બ્રોઈડરીની માંગ અને આંતરરાષ્ટ્રીય ફેશન વસ્ત્રો અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.
ગ્લોબલ વોર્મિંગ વિષે ચિંતા કરતા મીસ અર્થ તન્વી વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત પાસે ૩૩ ટકા જંગલો છે. ગીરનું જંગલ એ ગુજરાતની આગવી ઓળખ સમાન છે. ઓગસ્ટમાં થનારી સ્પર્ધામાં વિજયી થયા બાદ તે ગીર અને ગીરના જંગલનું સંવર્ધન કરવાના કામમાં લાગી જશે.
સુંદરતાની સાથે દિમાગની સતેજતાની જરૂરિયાત જણાવીને વિશ્વ સ્પર્ધામાં હીર ઝળકાવવા પોતે કમર કસી રહી હોવાનું જણાવી સુંદરતાની સ્પર્ધામાં ફરીથી ભારતનો ડંકો વગાડવા કટીબદ્ધ છે.