માનવ મગજ માનવશરીરના તમામ અંગોનું નિયંત્રણ કક્ષ છે, તે સ્પંદન લાગણીનો અનુભવ તેમજ બુધ્ધિપૂર્વક વિચારવાનું કાર્ય પણ કરે છે. આ મગજ મસ્તમાં સ્થાપિત છે અને તેના કપાળે કરાતુ તીલક અથવા ચાંદલો હકિકતમાં બુધ્ધિને અર્ધ્ય એટલે પૂજાનું પ્રતિક છે. બુધ્ધિનો મહિમા અપરંપાર છે, ભુતકાળમાં પણ હતો અને હવે પછી પણ રહેશે. માણસ નામના સામાજીક પ્રાણીનો આટલો ઉચ્ચ વિકાસ થયો હોય તો તેના પાયામાં બુધ્ધિ રહેલી છે. માણસને ઈશ્વર સુધી લઈ જનાર પણ બુધ્ધિ જ છે. શુન્યમાંથી સુષ્ટિનું સર્જન કરવાની શક્તિ બુધ્ધિમાં રહેલી છે. આવું અનોખું માહાત્મય ધરાવતી બુધ્ધિના પૂજન માટે આપણે મસ્તક ઉપર તીલક કે ચાંદલો કરીએ છીએ, આમ, તીલક કે ચાંદલો તેના પૂજા પ્રતિકો બન્યા છે. માનવ ઈતિહાસમાં હજારો ઉદાહરણો જોવા મળે છે. જેમાં બુધ્ધિપ્રતિભાનો ઉપયોગ કરી માણસ શ્રેષ્ઠતા પામ્યો હોય. નંદવંશના જુલ્મી રાજા ધનનંદના શાસનને ઉખાડવા માટે વિષ્ણુગુપ્ત અર્થાત ચાણકય પાસે શરૂઆતમાં મદદમાં કોઈ જ નહોતું, જો સાથમાં હતી તો તેની બુધ્ધિપ્રતિભા જ અને તેના વડે જ તેને ધનનંદના શાસનનો અંત કર્યો અને મહાન મૌર્ય સામ્રાજયની સ્થાપ્નામાં નિમિત બન્યા, આજે પણ બુધ્ધિશાળી માણસ ને ચાણક્ય તરીકે સન્માનવામાં આવે છે.
આપણે દેવમંદિરે ભગવાન પાસે મસ્તક નમાવીએ ત્યારે મને સદ્બુધ્ધિ આપજે તેમ કહીએ છીએ. આનો સ્પષ્ટ અર્થ છે. બુધ્ધિ હોવી જોઈએ પરંતુ તે સદ્ એટલે કે હકારાત્મક કે સારા કાર્યો માટે વપરાય તેવી હોવી જોઈએ રાવણ પણ એક પ્રતિભાવાન હોવાં છતાં તેનો નાશ થયો. બુધ્ધિનો સારો ઉપયોગ માણસને શુન્યમાંથી શ્રેષ્ઠ બનાવે છે. જયારે તેનો વિપરીત ઉપયોગ ગમે તેવા શ્રેષ્ઠ માણસનું પતન નોતરે છે. શક્તિહિનતા, ભોગળાદ સ્વચ્છંદતા માનસિક નબળાઈ વગેરે બુધ્ધિના શત્રુઓ છે. માણસ ગમે તેટલો બુધ્ધિશાળી હોય પણ તેનામાં પ્રેમભાવ, વિશ્વાસ, લાગણી, માનવીય ગુણો વગેરે તો હોવાં જ જોઈએ.
આપણી સંસ્કૃતિએ પણ બુધ્ધિને મહત્વ આપ્યું છે, અને દરેક કાર્ય બુધ્ધિપૂર્વક કરવા જણાવ્યુ છે. પાણી પીઓ તો ગાળીને પીઓ, ભોજન કરો તો ખોરાક બરાબર મે જુઓ, તેમાં કચરો કંટક નથી ને, દરેક શુભ પ્રસંગોએ બહારગામ જતી વ્યકિતે કપાળે તિલક કરવામાં આવે છે. ભાવાર્થ એક જ છે. માણસ મનમાં બુધ્ધિને જાગૃત રાખશે તો તેને કોઈ સમસ્યા નડશે નહિ.
બુધ્ધિપૂજાનો પ્રતિક ચાંદલો પરિણીત સ્ત્રીના સૌભાગ્યનું પ્રતિક પણ ગણાય છે. અહિં સ્ત્રીનો તેના પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ પ્રગટ થાય છે. બહેન પણ ભાઈના કપાળે ચાંદલો કરે છે, અહિં ચાંદલો ત્રીજા નેત્ર સમાન છે જે ભાઈને સ્ત્રીને કામદ્રષ્ટિની નહિ પરંતુ બહેન તરીકે જોવાનું સૂચવે છે. આનો બીજો પણ અર્થ થાય ત્રીજા નેત્રમાં કામ રહી જ ન શકે, ભગવાન શંકરે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરો. તે અહિં સૂચક, આવું અનેરૂ માહાત્મય ધરાવતા ચાંદલાને માત્ર ધાર્મિક ઓળખાણનું ચિહ્નન ન સમજતા તેની પાછળનો સાચો ભાવાર્થ સમજી, તેને આચરણામં મૂકી આપણે ધન્ય બનીએ.