
અદ્વૈત મતના પ્રચારક અને દેશના ચાર ખૂણાઓમાં ચાર મઠની સ્થાપના કરનાર શંકરનો જન્મ મલબાર પ્રાંતના કાલડી કે કાતરી ગામમાં ઈ. ૭૮૮ના મે માસની ૧૫મી તારીખે પ્રસિદ્ધ નામ્બુદ્રી બ્રાહ્મણ કુળમાં થયો હતો. સાત વર્ષની અતિ નાની ઉંમરે તે વેદ વેદાંગના પ્રકાંડ પંડિત બની ચૂક્યા હતા. તેજસ્વી મેધા, અપ્રહિતહત જ્ઞાનશક્તિ તથા પ્રજ્ઞાના પરમ વિકાસે કરીને ભારતમાં પ્રવર્તતી ધાર્મિક અનેકસૂત્રતા અને શિથિલતાના યુગમાં હિંદુ ધર્મને ર્દઢમૂલ કરનાર આ તત્વપંડિત શક્તિસંપન્ન કવિ, સાહિત્યકાર, સમાજ સુધારક અને મહાન રાષ્ટ્રનિર્માતા સંન્યાસી તરીકે સુવિખ્યાત થયા. ચાર વર્ષની કાચી વયે નર્મદાતટ પર સ્વામી ગોવિન્દ ભગવત્પાદ પાસેથી તેમણે સંન્યસ્ત ગ્રહણ કર્યો. દેશમાં ભ્રમણ કરી અનેક સ્થળે શાસ્ત્રાર્થ કર્યો. તેમણે સ્થાપેલા ચાર મઠ-દક્ષિણનો
‘શૃંગેરી‘, દ્વારકાનો
‘શારદા‘, જગન્નાથપુરીનો
‘ગોવર્ધન‘ તથા બદરીનાથ પાસેનો
‘જ્યોતિ‘ આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે.
પ્રકાંડ બૌદ્ધતત્વજ્ઞ મંડનમિશ્ર સાથે તેમનાં પત્ની ભારતીદેવીને મધ્યસ્થ રાખીને તેમણે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થમાં મંડનમિશ્ર અને પછી ભારતીદેવીએ હારતાં તે બંને શંકરાચાર્યનાં શિષ્ય બન્યાં.
માતા સુભદ્રાના મૃત્યુ સમયે તેઓ વતન જઈ પહોંચ્યા હતા અને પુત્ર તરીકેના પોતાના કર્તવ્ય પાસે સંન્યાસ-નિયમો તથા લોકાપવાદને ગૌણ ગણી માતાના દેહના અંત્યેષ્ઠિસંસ્કાર કર્યા.
તેમના પ્રથમ શિષ્યનું નામ સુનંદન હતું જે પછીથી પદ્મપાદ તરીકે ઓળખાયા. તોટકાચાર્ય, હસ્તામલક વગેરે તેમના અન્ય શિષ્યો હતા. વેદ-વેદાંત ગ્રન્થો પરનાં તેમનાં ભાષ્યોમાં પ્રકટ થતું તત્વજ્ઞાન તલસ્પર્શી અને તર્ક તથા વિચારશક્તિની પરાકોટિએ પહોંચેલું છે.
‘વિવેકચુડામણિ‘ એ તેમનો વધુ પ્રશસ્ત ગ્રન્થ છે.
શંકરાચાર્ય અને બુદ્ધની વિચારધારાની તુલના કરતાં કહેવાયું છે કે એક તમને આનંદસ્વરૂપ બનાવશે જ્યારે બીજો આંસુ લૂછી આનંદનો માર્ગ બતાવશે. બંને નિરનિરાળી દિશામાંથી પ્રયાણ કરી પોતાના સત્યને પહોંચ્યા છે.
૩૨ વર્ષની ભરયુવાન વયે ઈ. ૮૨૦માં હિમાલયના કેદાર ખાતે ભયંકર ભગંદર રોગની બીમારીથી તેમણે દેહત્યાગ કર્યો.
આચાર્ય શંકરે ભારતવર્ષમાં વૈદિક જ્ઞાનમાર્ગનું સ્થાપન કર્યું. તેમનાં કાવ્યોમાં મધુરતા અને અર્થગહનતા એટલા પ્રમાણમાં છે કે બધાં કાવ્યો સહેજે યાદ રહી જાય છે.
જગત્ મિથ્યા છે, સ્વપ્નવત્ છે જ્યારે બ્રહ્મ એ જ સત્ય છે – એ તેમના ઉપદેશનો મુખ્ય ભાવ છે.