
આપણાં વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન‘નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે.? આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસા ર્દષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો ? તો તો આપણે પરમેશ્વર થયા. કેમ કે સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી, જેમ ઇશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયા કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઈશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ. પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમા જે કંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.
બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે, ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો ? સહુ પોતપોતાની ર્દષ્ટિએ જ્યાં લગી એ ર્દષ્ટિ વર્તે ત્યાં લગી, સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્માન્ધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર – દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના.
અહીં ધર્મઅધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઈ ગયાં છે, આજે પણ મોજૂદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ – મનુષ્યો – પ્રત્યેના – સમભાવમાં કંઈક ભેદ છે. મનુષ્યમાત્ર – દુષ્ટ અને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે ધણા ધર્મો શાને સારું જોઈએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક જ છે. પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહીં ટળે. છતાં આત્માના ઐક્યને આપણી ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું, પણ તેને પાતરાં અસંખ્ય છે.
'મંગળ પ્રભાત'માંથી સાભર