કહત કબિર સૂનો ભૈ સાધો.....
જ્યું કી ત્યૂં ધર દીની ચદરિયાં..ઝીની રે ઝીની
આ સંસારમાં આવીને પોતાની શુભ્ર-શ્વેત ચાદરને જેવી હતી તેવી જ ધરીને ચાલ્યા જવું કબીર માટે સહજ હતું.....તે સહજતાથી તેમણે કરી બતાવ્યું....
અને અન્યને પણ તેમ કરવા શબ્દ-વાણીના લયકારી દોહામાં કહી બતાવ્યું. કદાચ તેથી જ આધ્યાત્મિકતાના ઉપદેશમાં કોઈ સંત કે કથાકાર પોતાના ઉપદેશ વચનમાં કબીરના દોહા? ન ટાંકે તો જ નવાઈ ?
કહેવાય છે કે કોઈ ગૂઢ તથ્યને સરળ ભાષામાં કહેવા માટે કબીરના દોહાનો જેટલો ઉપયોગ થયો છે તેટલો ભાગ્યે જ કોઈ સંતના કથનનો ઉપયોગ થતો હશે.
"આ સંસારમાં એક માયા છે અને કશું જ અહીં શાશ્વત નથી નાશવંતી છે માટે મોહ છોડી ગુરુના શરણમાં જાઓ" જેવા શબ્દો કહ્યા કરતા.... કબીરની સાખી તમે પામી લો તો...
આ સુપ્રસિદ્ધ ભારતીય સંત કવિ સરળ અને સહજ એવમ કોઈ પ્રકારના દંભ કે દેખાડ વિના સાદગીપૂર્ણ જીવન જીવ્યા.
દંભી અને પાખંડી ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો અને આ નારાજગી તેમણે પોતાના દોહા-સાખીમાં વણી લીધી ! જાતે તો પોતે વણકર હતા તેથી શબ્દના ભાવતાણાવાણામાં જે રીતે ગૂઢ તત્વની છાંટ તેઓ ઉપસાવતા ને વિચારનું એવું તે બારીક પોત વણતા કે તમે તેને નજર અંદાજ ન કરી શકો તેઓના કથન બારીક એવમ નિર્ભિક હતા.
"મસ્જિદ ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ તૈરા બહિરા હૈ,
ચીંટી કે પાંવ ઝાંઝર બાજે સો ભી સાહબ સુનતા હૈ !"
તો બારીક વિચારની છાંટ ઉપસાવતું તેઓનું આ પોત જુઓ....
પાની બિચ મીન પિયાસી
મોહિ સુન સુન આવત હાંસિ
આતમ જ્ઞાન બિના સબ સુના
ક્યા મથુરા ક્યા કાશી ?
ઘરમેં વસ્તુ ધરિ નહિ સુઝે
બાહર ખોજત જાસી.
મૃગ કી નાભિ મહી કસ્તુરી
બન બન ખોજત જાસી
કહૈ કબીર સુનો ભાઈ સાધો
સહજ મિલો અવિનાસી !
આ સરળ કહેવાતા શબ્દોમાં કબીરજીની ગહનતા અને ગાંભીર્યની સહજતામાં તેઓના સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારણાની સાથોસાથ ઈશ્વર તરફનો પ્રેમ, સંદેશ પ્રતિપાદિત થતો રહે છે.
પરંતુ આ સરળ વ્યક્તિત્વના સિદ્ધ કવિનું સંપૂર્ણ જીવન વિટંબણા અને વિવાદોથી સભર રહ્યું વિખવાદો ઉભા કરવામાં તેઓના અનુયાયીઓની સંકુચિતતાનો વ્યાપ એટલો વિશાળ હતો કે તેઓને પોતાના કહેવાતા ધર્મના વાડામાં કેદ કરવા તેઓએ કબીરને હંમેશા કુંઠિત કરી પોતાની કુત્સિતતા જ પ્રદર્શિત કરતા રહ્યા પરંતુ કબીરજી જેવા ક્રાંતિપુરુષનું કાન્ત વ્યક્તિત્વ આ સઘળી માન્યતાઓના અંધકારમાં પણ ઝળહળતું જ રહ્યું.
રીતિ-રિવાજો, કર્મકાંડો એવમ બાહ્યાચારો તેમને ગમ્યા જ નહીં અને તેથી જ તેઓ કહેતા પંડિત-મુલ્લા કરતાં સામાન્ય જન, ધોબી કે સુથાર વધુ સહજતાથી પ્રભુને પામી શકે છે. આ કેટલું મૌલિક અને ક્રાંતિકારી દર્શન છે. પાખંડનો કેવો પર્દાફાશ છે....
પરંતુ આ સહજ વ્યક્તિત્વના સાહેબજીના જીવનની હકીકત વિષે વિવિધ મતો પ્રવર્તે છે. તેઓશ્રીની જ્યંતિ તો જેટ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
પરંતુ હજી પણ તેઓના જન્મનાં સમય માટે મતમતાંતર છે અને તેથી જ તેઓના કાર્યકાળ અને અવસાન-સમયની પણ અવઢવ છે. ખેર...મહદ અંશે માનવામાં આવે છે કે તેઓ ઈ. સ. ૧૩૯૮ થી ૧૫૧૮ દરમ્યાન આ ધરતી પર અવતાર કાર્ય કરી પરમધામ પામ્યા. તેઓના જન્મસ્થાન વિષે પણ ત્રણ મત છે.? કાશી, મગહર તેમજ ત્રીજું બેલહરા ગામ. અધિકાંશ વિદ્વાનો કાશીની તરફદારી કરે છે. કબીરજીની જાતિ વિષે પણ અનેકાનેક મતો છે.
એક મત પ્રમાણે કાશીના ‘લહરતારા‘ તળાવ ખાતે એક વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને મૂકી ગઈ હતી જેને નીરૂ અને નીમા નામે એક જુલાહા એટલે કે વણકર દંપતીએ ઉછેર્યા જેઓ મુસલમાન હતા.
આથી કેટલાક વિદ્વાનો તેમને હિન્દુ નહિ અને મુસલમાન પણ નહિ એવા ‘જુગી‘ યાને ‘યાગી‘ માને છે.
કેટલાક તેને હિંદુ ‘કોળી‘ માને છે, જે જનજાતિનો સંબંધ નાથપંથ સાથે હતો.
કબીર સાહેબના પારિવારિક જીવન વિશે પણ વિવાદ છે. અમુક કબીરપંથીઓ તેમને અવિવાહિત માને છે કેટલાક તેમની પત્નીનું નામ ‘લોઈ‘ બતાવે છે.
અને લોઈના બે સંતાન, પુત્ર કમાલ અને પુત્રી કમાલી બતાવે છે; તો કેટલાક તેમને બે પત્નીઓ હોવાનો ઉલ્લેખ કરે છે જેમાં એકનું નામ ‘લોઈ‘ અને દ્વિતીય પત્નીનું નામ ‘ધનિયા.‘ આ ધનિયાને લોકો ‘રામજનિયા‘ પણ કહેતા તેમનો વ્યવસાય તો હતો કાપડ વણવાનો તેમાં કોઈ વિવાદ નથી. પરંતુ આ સંત જીવના ગુરુપદે કોણ હતા તેમાં મોટો મધપૂડો છંછેડાય છે. તેમના હિન્દુ શિષ્ય તેમને રામાનંદના શિષ્ય માને છે તો મુસલમાન અનુયાયીઓ તેમને શેખતકીના શિષ્ય માને છે.
વાસ્તવમાં કબીરજીનો ‘દખાવ આવે હાસી‘ જેવો જ તાલ થતો. તેઓ આ સઘળાં વિવાદથી જળકમળવત રહી પોતાના દોહા-સાખીઓમાં મસ્ત રહેતા.?
કબીર ખડા બાજાર મેં સબ કી પૂછે ખૈર ।
ના કિસી સે દોસ્તી, ના કિસી સે બૈર ॥
કબીર સાહેબના સમયમાં ભારતની વર્તમાન ભાષાઓ અપભ્રંશમાંથી છૂટી પાડીને બહાર આવેલી હતી. આ સઘળી ભાષઓમાંથી શબ્દો લઈને કબીરે પોતાની ‘સધુકકડી‘ ભાષામાં પદો વગેરે રચ્યાં છે. તે સમયની પ્રવૃત્તિ ધાર્મિક વિચારધારાઓનો કબીરજીની વાણી પર જબરો પ્રભાવ હતો. સગુણ વૈષ્ણવ ભક્તિ ધારાના કારણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિ તેઓનાં પદોમાં શ્રદ્ધાપૂર્વક આવી જાય છે તો નિર્ગુણ ભક્તિધારાના પ્રભાવથી અદ્વૈત સિદ્ધાંતનું નિરૂપણ પણ સામેલ થાય છે. નાથપંથી યોગધારાના કારણે તેઓના પદમાં નિર્વાણ, યોગસાધના, શૂન્યવાદ અને અવળવાણી એટલે કે ઉલટબાસિયા સહજભાવે પ્રવેશે છે. તો સૂફી વિચારધારાના કારણે પ્રેમ અને વિરહનો લયબદ્ધ પ્રવાહ તેમના સર્જનમાં નિર્મળ ભાવે વહેતો રહે છે. ઈસ્લામના પ્રભાવ હેઠળ કબીરજીએ એકેશ્વરવાદને સ્વીકારી મૂર્તિપૂજાનો વિરોધનો સૂર પોતાના દોહામાં સૂરીલી રીતે વગાડ્યો છે.
કબીરજી જેવા નિષ્પક્ષ અને નિર્ભિક એવમ જાગૃત ચિંતક હતા એટલા જ વાણી વિચારમાં સ્પષ્ટ અભિવ્યક્ત થતા અને તેથી જ તેમના પદોમાં ચાબખાની માફક કર્કશતા, રૂક્ષતાં અને ભર્ત્સના સામાન્ય જનના દંભી બાહ્યાચાર પર ઉઝરડા બનીને ઉપસતી.
•દુર્જન કી કરૂણા બૂરી, ભલો સજ્જન કો ત્રાસ
સૂરજ જબ ગરમી કરે, તબ બરસન કી આસ.
•પત્થર પુજે હરિ મીલૈ, તો મૈં પૂજું સબ પહાડ?
ઈસમે તો ચક્કી ભાષી, પીવ ભવાડે સંસાર.
આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે આટલું વિદ્વતાપૂર્ણ પ્રચૂર સાહિત્ય આપનાર સંત કબીર સ્વયં તો નિરક્ષર હતા એટલે આપણને પ્રાપ્ત થતું કબીર સાહિત્ય તેમના શિષ્યોએ લેખોનું અને કબીરપંથના ભિન્ન ભિન્ન શાખાઓમાંથી સંગ્રહિત થયેલું છે.
એક દ્રશ્ય વિચારો....કબીરજીના ઘરીમાં હાંલ્લા કુસ્તી કરે છે......રાંધવા માટે દાણો નથી ઘરની સ્ત્રીનો કંકાસ તેમને કામ કરવા પ્રેરે છે જેથી પાઈ-પૈસા કમાઈ શકાય ને તેઓ પોતાની ઝૂંપડીની બહાર ખુલ્લા બદન સાથે હાથ-શાળ પર તાણા-વાણા બૂનતા જાય છે ને નજીક બેઠેલા તેમના શિષ્યને સહજભાવે જે સૂઝે તે કહી સંભળાવે છે......
ને આમ કાપડ વણાતું જાય છે.... ને પદો રચાતા જાય છે.... જે પદને યાદ રાખી હ્રદયસ્થ કરી આ શિષ્ય બીજા ચારને સંભળાવે છે.....
ને તેમાંથી કોઈ ટપકાવી લે છે ને....આમ રચાય છે કબીરની ‘ગ્રંથાવલિ‘ આજથી સાતસો વર્ષ પૂર્વે જે આજે પણ આપણને એટલી સાંપ્રત અને સત્યાર્થ લાગે છે....
તેમની આ પ્રકારની રચનાઓના ઉપલબ્ધ સંગ્રહોમાં ‘આદિગ્રંથ‘, કબીર ગ્રંથાવલિ‘ અને ‘કબીર બીજક‘ વિશ્વસનીય મનાય છે. આ ત્રણેયમાં સંગ્રહિત વાણીમાં પાઠભેદ જણાય છે અને વાણીની સંખ્યા પણ વધુ- ઓછી જણાય છે છતાં ત્રણેયના તુલનાત્મક અધ્યયનથી કબીરના મૂળ સિદ્ધાંત તેમજ સાધના વિષે જાણી શકાય છે. કબીરજીના સર્જનનું ચિંતન કરતા એક વાત જણાઈ આવશે કે તેઓ જે સમાજમાં જીવતા તેનું જ પ્રતિબિંબ પોતાની રચનામાં પાડતા અને તેને ખોટા ખ્યાલો અને રિવાજો તેમજ ખોટી પરંપરાઓનું ખંડન કરતાં તેઓને દોહામાં ત્રૂટિઓ તરફ ધ્યાન દોરવણીની સાથોસાથ વિચાર અને આત્મચિંતનનું પણ સ્થાન રહેતું અને અન્યનું પણ આ ત્રૂટિઓ તરફ ધ્યાન દોરી તેના પર વિચાર કરવાનું ગર્ભિત પણે તેઓ કહેતા આમ તેઓ ચિંતક અને સુધારકની સાથોસાથ અન્યના વિચાર સ્વાતંત્ર્યના પણ હિમાયતી હતા. તેઓનો કોઈ પણ દોહો કે સાખી તમે આ રીતે મૂલવશો તો તમને તેમની સમજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઇશ્વર તરફની જાગરૂકતા વર્તાયા વિના નહીં રહે.
કબીરજીના જીવનની સાથોસાથ જાણે કે વિવાદ અને મતભેદના તાણાવાણા ગૂંથાયેલા જ રહ્યા તે મુજબ કબીરના ગ્રંથોની સંખ્યા વિદ્વાન વિલ્સના મતે આઠ, કબીર સાગરના આધારે ચાલીસ, તો શ્રી રાજકુમાર શર્માના મતે એકસઠ, રામદાસ ગૌડકૃત ‘હિન્દુત્વ‘ ને આધારે ઈકોતેર એવમ કાશી નગરી પ્રચારિણીના આધારે લગભગ એકસો ત્રીસની છે.... આ સઘળા અંકોની મથામણ ત્યજીને તેમાં રહેલા વિચારના આંકડાના ડંખને કબીરજીએ તો તીવ્ર બનાવ્યો હશે એમને જાણ હતી કે માત્ર હોંકારા અને ટપલીઓથી આ જડ સમાજ જાગૃત નહીં થાય તેને ઝબકોરવા તો મીઠાના ચાબખા અને તીવ્ર ડંખ જ જરૂરી છે.....
અને કબીરજીએ આજીવન એ જ કર્યું સમાજને ઝબકોરવાનું અને જગાડવાનું તે એટલે સુધી કે તે સમયે પ્રચલિત માન્યતા સમાજમાં ઘર કરી ગઈ હતી કે જો તમારે મોક્ષ મેળવવો હશે તો કાશીમાં દેહનો ત્યાગ કરશો તો મોક્ષ મળશે.... સમાજમાં પ્રવર્તતી આ માન્યતા પ્રમાણે આજે પણ અનેક વૃદ્ધો કાશીમાં જઈને મૃત્યુની રાહ જોતા દિવસો વિતાવે છે....
કબીરજીએ આ માન્યતાના ખંડન માટે પોતે કાશીમાં રહેતા હોવા છતાં જ્યારે તેમને પોતાના અંતકાળનો અંદેશો આવ્યો ત્યારે સ્વયં ચાલીને નજીકના મગહર ગામે જઈને વસ્યા અને ત્યાં જ દેહનો ત્યાગ કર્યો આ ગામે મૃત્યુ પામવાથી અવગતિ થાય છે તેવી માન્યતા હતી.
આમ સમાજને જ્ઞાન થયું કે મૃત્યુ માટે દેહભાન નહીં પરંતુ આત્મજ્ઞાન જરૂરી છે. દેહને ગમે ત્યાં ત્યાગો તેથી શું ફેર પડે છે.
આ તથ્યને સ્વયં આચારમાં મૂકી અંતકાળે પણ તેમણે સિદ્ધ કરી બતાવ્યું ને ચાદર ઓઢીને પોઢી ગયાં.
સો ચાદર સુર નર મુનિ ઓઢિન
ઓઢિ કે મૈલી કીની ચાદરિયા
દાસ કબીર યતન સે ઓઢિન?
જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા...
મો કો કહાં ઢૂંઢે રે બન્દે મૈં તો તેરે પાસ મેં
કબીરજીએ કદિ કલમ હાથમાં પકડી નથી પણ તેમનું ઈલમ અને અગમનું જ્ઞાન તેમની વાણીમાં સતત છલકાતું રહ્યું તેમની વાણી જ્યોતિષ્મતિ વાણી છે. તેઓની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને સદૈવ પ્રદર્શિત કરતા રહેતા...અને કદાચ તેથી જ ઓશો જેવા અનેક પ્રબુદ્ધ ચિંતક કે આશારામ બાપુ કે મોરારીબાપુ જેવા સંતકથાકારથી માંડી સામાન્ય જનસમુદાય પણ તેઓના દોહા અને પદ જેટલા અભિભૂત છે તેટલી હદે પ્રભાવિત અન્ય કોઈના પદથી ભાગ્યે જ હશે, સર્વના હ્રદયને સ્પર્શે તેવી બાનીમાં તેઓએ સહજતાથી ગહનવાતને સરળ રીતે સહુની સમક્ષ રજૂ કરી છે.
નદિયા ગહેરી નાવ પુરાની, બિન સતગુરુ કસ ઉતરે પાર
કહે કબીર સતગુરુ કો ભજન કર, ભવસાગર સે ઉતરો પાર
શ્રી કબીર સરળ રીતે કહે છે, તું નિત ઈશ્વરનું ભજન કર, એ જીવનનો સાર છે. આ શરીરનું અભિમાન કરવાથી તો સંસાર સાગરમાં ડૂબી જવાશે. આ શરીર નાશવંત છે અને મૃત્યુ પછી તો તે બળીને રાખ થઈ જવાનું છે. જે શરીરના દશ દ્વારો નરકથી ભરેલા છે તેમાં અભિમાનથી તું મલિન થયેલો છે તેથી તેના નિવારણઅર્થે શ્રી કબીર સાહેબ કહે છે, ‘પાંચો માર પચીસો વશકર‘ એટલે કે પાંચ ભૂત અને દરેક ભૂતોના પાંચ પાંચ કાર્યરૂપ પચ્ચીસ પ્રકૃતિ છે જેમાં આકાશના કાર્યરૂપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ભય છે તો વાયુના કાર્યરૂપ છે ચલન, બલન, ધાવન, પ્રસારણ એવમ સંકોચન, તેમજ તેજ અગ્નિના કાર્યરૂપ ક્ષુધા, તૃષા, આળસ, નિદ્રા એવમ મૈથુન છે તેવી જ રીતે જળના કાર્યરૂપમાં લાળ, લોહી, પ્રસ્વેદ, મૂત્ર તથા વીર્ય છે. પૃથ્વીના કાર્યરૂપ છે હાડ, માંસ, ચર્મ, નાડી તેમજ કેશ-
આમ આ પચીસ પ્રકૃતિ જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાય છે. તેથી પાંચ ક્લેશ- અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વૈષ, અભિનિવેષ બને છે. પાંચ પ્રાણ બને છે. જેમાં પ્રાણ, અપાન, ઉદાન અને અમાન સમાવિષ્ટ છે. પાંચ કર્મેન્દ્રિયો કર્મમાં પ્રવૃત્ત થાય છે જેમાં હાથ, પગ, ગુદા, વાણી, ઉપસ્ય છે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ જાગૃત રહે છે.....જેમાં જિહ્વા, ત્વચા, આંખ, કાન, નાક સામેલ છે અને એને પાંચ દુઃખ ઉભા થાય છે જેમાં ગર્ભ દુઃખ, જન્મ દુઃખ, જરા દુઃખ વ્યાધિ દુઃખ અને મૃત્યુ દુઃખ મૂલ્ય છે..... આમ પાંચ કાર્ય દ્વારા પચીસ પ્રકૃતિનું જોડાણ થાય છે અને જો આ સંધાનને વશમાં કરી શકાય તો યમરાજા ઉપર વિજય સહજ જ છે. કારણ આ સંધાન તમને સંસારરૂપી ગહરી અનાદિ નદી અને વાસના-કર્માદિરૂપ પુરાણી નાવમાં બેસીને પાર કરવાની છે. તેથી ચતુર નાવિક વગર જેમ નદી પાર કરી શકાતી નથી તેમ સદગુરુ વિના આ સંસારરૂપી સાગર ભરી શકાતો નથી.?
શ્રી કબીર સાહેબ ઘણાં જૂજ શબ્દોમાં ઝાઝી વાત કહેવામાં માહિર છે તેથી જ તેઓ આ પદ દ્વારા પરમાત્માના ભજન, સત્સંગ દ્વારા આ જન્મ- મરણ જરા વ્યાધિ અને દુઃખોની સાથે અનેક વાસનાઓ વશમાં રાખવા કદી કાળને વશ કરી આત્માનંદને પામવાનો સહજ રસ્તો સરળ બાનીમાં બતાવે છે.
કબીર પંથ : પ્રલંબ અને ઘટાટોપ બારશાખોનું વટવૃક્ષ
કબીરજીના પદો સાંભળીને તેને જીવનમાં ઉતારવાનો અને જીવનમાં યોગ અને ભોગનો સમન્વય કરવાનો એક પંથ સહજભાવે આકાર લેતો ગયો સ્વાભાવિક છે કે સ્વયં કબીરજી તો કોઈ પંથ સ્થાપવાના હિમાયતી હતા જ નહીં.....
તેમના શિષ્યોમાં મુખ્ય હતા ધર્મદાસ, સુરત ગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્વા, જાગૂદાસ તથા અન્ય આ સર્વમાં ધર્મદાસ તેઓના પટ્ટશિષ્ય. કબીરજીના નામે આ અનુયાયીઓએ ઉભો કરેલો અને બારમુખ્ય શાખામાં ફેલાયેલો પંથ તે કબીર પંથ.
કબીરજીના મૃત્યુ બાદ ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી તો સુરત ગોપાલશ્રીએ કાશી મુકામે એક શાખા સંભાળી. ધીરે ધીરે બંને શાખાઓમાં મતભેદ ઉભા થયા. પણ ધર્મદાસ વગેરે કબીરપંથી શાખાઓમાં કબીરનો આદર પયગંબરના રૂપમાં થઈ રહ્યો છે.
આજે તો કબીરપંથ બાર શાખાઓમાં વિભાજીત છે જેમાં સુરતગોપાલની શાખા મુખ્ય કહેવાય છે. આ શાખાના પરંપરાગત શિષ્ય કાશીના કબીર ચોરાપર મગહરની સમાધિ પર અને જગન્નાથજી તથા કાશીનાના મઠો પર અધિકાર રાખે છે અન્ય શાખાવાળા પણ આ શાખાને પ્રધાન માને છે. અન્ય શાખામાં (૨) ભગ્ગુદાસ, (૩) નારાયણદાસ, (૪) ચુડામણિદાસ, (૫) જાગૂપંથી, (૬) જીવનદાસ, (૭) કમાલપંથી – શ્રીશ્રુતિ અનુસાર કમાલ તે કબીરજીના પુત્ર હતા તેમના ચેલા યોગી કહેવાતા કબીર સાહેબનો આ સંદર્ભે દોહો છે :
બૂડા વંશ કબીર કા, ઉપજા પૂત કમાલ હરિકા સુમિરન છાંડિ કે, ઘર લે આયા માલ.
(૮) ટકસાલી – તેઓ વડોદરાના નિવાસી હતા અને ત્યાં તેમનો મઠ છે, (૯) જ્ઞાની, (૧૦) સાહેબરામ, (૧૧) નિત્યાનંદ, (૧૨) કમલાનંદ
આ ઉપરાંત હંસકબીર, દાનકબીર, મંગલકબીર, સત્યકબીર, નામકબીર, ઉદાસકબીર આદિ કબીરપંથીઓની અન્ય કેટલીક શાખાઓ છે.
કબીરપંથીઓનું મંદિર અમદાવાદ તેમજ વડોદરામાં તથા અન્ય સ્થળે પણ છે તેમની વિશેષ સંખ્યા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને થોડા પ્રમાણમાં પંજાબ, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ મૈસુર અને ચેન્નાઈ તમિલનાડુ પણ છે.