ગુજરાતના પ્રથમ હાસ્યકાર રમણભાઈ નીલકંઠનો જન્મ ઈ.સ. ૧૮૬૮માં અમદાવાદ થયો હતો. તેજસ્વી વિધાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકનશક્તિએ માનવ સ્વભાવનાં અનેક પાસાં જોયાં. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃત્તિ જાગી ઊઠી અને ‘ભદ્રંભદ્ર’નું સર્જન થયું. ઉપરાંત ‘રાયનો પર્વત’, ‘ધર્મ અને સમાજ’ તેમજ ‘હાસ્ય મંદિર’ એ તેમની મૂલ્યવાન કૃતિઓ છે. ‘કવિતા સાહિત્ય’ના ચાર ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની વિવેચન દ્રષ્ટિ દેખાય છે. સતત ત્રીસ વર્ષ સુધી ‘જ્ઞાનસુધા’ના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંતપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યાં કરવું કે નવીન આચાર્યોને નમી પડવું – બંનેથી રમણભાઈ દૂર હતા. તા. ૬-૩-૧૯૮૨ના રોજ તેમનું અવસાન થયું. ૬૦ વર્ષના આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી ‘સકલ પુરુષ’ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે : “ભદ્રંભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતી હાસ્યસૃષ્ટિમાં હજી જન્મ્યો નથી.” પોતાના ‘ભદ્રંભદ્ર’ પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઈ આજે સવાસો વર્ષ પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે.