
ખીલ થાય એટલે ચોક્કસપણે ચિંતા થાય, દર્દ પણ થાય. પણ ખીલથી થતી શારીરિક પીડા કરતાં એની માનસિક અને સાયકોલોજિકલ પીડા વધુ હોય છે. સામાન્યપણે કિશોરાવસ્થામાં દેખા દેતાં ખીલથી ચહેરા પર પડતાં ડાઘા-ધબ્બા અને ખાડા વધુ દુઃખ ઉપજાવે છે.
ખીલથી પરેશાન વ્યક્તિ ઘણાં નિષ્ણાત ડૉકટર્સ, વૈદ્ય પાસે જાય છે, પણ લગભગ એક સલાહ – યોગ્ય આહાર લો અને ખીલ થાય કે તરત જ તેની સારવાર કરો. એ સિવાય આ નિષ્ણાતો પણ કોઈ સહાય નથી કરી શકતાં.
ખીલથી પડેલાં ડાઘા – ખાડા તમે કન્સીલર વડે છૂપાવી શકો છો. તમે કોસ્મેટીક કેમોફલેજ ક્રીમનો પણ ડાઘા છૂપાવવા ઉપયોગ કરી શકો છો. પણ, એકવાર અવશ્ય ધ્યાનમાં રાખો કે ખીલ પર ક્યારેય કન્સીલર ન લગાવશો.
આધુનિક સૌંદર્ય વિજ્ઞાન નેચરલ પિગમેન્ટ ઈમ્પ્લાન્ટેશન વડે ડાઘા છૂપાવવામાં – દૂર કરવામાં સહાય કરે છે. આ ટ્રીટમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં કુદરતી શાકભાજી અને ખનીજમૂળના રંગદ્રવ્યોને ત્વચામાં દાખલ કરી ત્વચાનો રંગ ઘેરો બનાવવામાં આવે છે કે જેથી ચહેરા પર ડાઘા ન દેખાય. પિગમેન્ટ ઈમ્પ્લાન્ટેશન ખીલના ડાઘા છૂપાવવામાં સહાય કરે છે.
આધુનિક સૌંદર્યવિજ્ઞાને આપણને અન્ય એક ભેટ આપી છે એ છે –સ્કીન પીલીંગ. આ ટ્રીટમેન્ટ ઘરે કે પાર્લરમાં – ગમે ત્યાં કરાવી શકાય છે. તમે ઘરે કરવા ઈચ્છતાં હોય તો તમે સ્કીન પીલીંગ ક્રીમ વાપરી શકો, પણ એનો ઉપયોગ કરતાં પહેલાં કોણી પર લગાવીને એનું પરીક્ષણ કરી જુઓ કે એનાથી તમને રિએકશન નથી આવતું ને, એની અગાઉથી ખબર પડે. ક્રીમ લગાવતાં પહેલાં જ્યાં ક્રીમ લગાવવાનું હોય ત્યાં એટલો ભાગ પહેલાં ચોખ્ખો કરી પછી ક્રીમ લગાવો. ત્વચા બળવાની શરૂઆત થાય કે લાલાશ પડતી જણાય તો ક્રીમ લૂછી નાખી કોલ્ડક્રીમ અથવા મલાઈ લગાવો.
ક્રીમ લગાવ્યા પછી કંઈ જ રિએકશન ન આવે તો ક્રીમના કન્ટેનર પર દર્શાવેલી સૂચના મુજબ એને લગાવો. ખીલ, તાજા જ ડાઘા, આંખો હોઠ અને આંખની આજુ-બાજુ ક્રીમ ન લગાવો. બને ત્યાં સુધી સૂર્યપ્રકાશને ટાળો. ધીમે ધીમે અને છતાં ચોક્કસપણે તમે અનુભવશો કે ત્વચા લુખ્ખી થઈ રહી છે અને પછી ત્વચા ઉખડી જશે. આ રીતે ડાઘા તબક્કાવાર આછા થતાં જશે.
સ્કીન પીલીંગ પાર્લરમાં પણ થઈ શકે છે. પાર્લરમાં સ્કીન પીલીંગ કરવા સ્કીન પીલીંગ પેકનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી બ્રશ મશીન અને સકશન મશીનથી સારવાર અપાય છે. આ ટ્રીટમેન્ટ ૧૫ દિવસે એકવાર કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ ડાઘા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યાં સુધી એને આછાં કરે છે. તમે ખીલના ડાઘા પર છૂંદેલું પપૈયું પણ લગાવી શકો છો. જેનાથી પણ ડાઘા આછા કરવામાં સહાય મળે છે અને આ કામ તો તમે ઘરે પણ કરી શકો છો. અરોમાથેરાપીસ્ટ પણ ખીલના ડાઘા આછા કરવા કુદરતી આવશ્યક ઓઈલ સાથેની જેલ તૈયાર કરી તમને મદદરૂપ થઈ શકે છે.
ખીલના જૂનાં ડાઘા કે ઊંડા ખાડા માટેની અન્ય એક ટ્રીટમેન્ટ છે – ડર્માબ્રેઝન. આ ટેકનિકમાં ત્વચાની ઉપલી પરત સંપૂર્ણપણે દૂર કરી પછી એને રૂઝાવા દેવામાં આવે છે.
ડર્માબ્રેઝન ડાઘાની ધારીઓ સ્મૂધ કરી ત્વચામાં ઊભો ખાડો (ખીલની દીવાલ જેવો) કરે છે, જેથી એનો આછો પડછાયો પડે અને ત્વચાનું ડિપ્રેશન જણાઈ ન આવે. હવે આપણે કોલાજન ઈન્જેકશન ટેકનિક વિશે જોઈએ તો એમાં એનિમલ કોલાજન અથવા જીલેટીન જેવાં બિનહાનિકારક તત્વો ત્વચાની અંદર દાખલ કરવામાં આવે છે કે જેથી એ ફૂલે અને ડિપ્રેશન દૂર થાય. આધુનિક સૌંદર્ય વિજ્ઞાને ખીલના ડાઘા દૂર કરવાની અનેક નવી ટેકનિકો વિકસાવી છે. જો કે ખીલના ડાઘાની ચિંતા થતાં એનું એક પ્રોત્સાહક લક્ષણ એ છે કે, વર્ષો વિતવાની સાથે આ ડાઘા વધુ ને વધુ આછા થતાં જાય છે.