માતૃભાષાનો આગ્રહ-
સન ૧૯૧૫ના પ્રારંભની વાત છે. દક્ષિણ આફ્રિકાનું કાર્ય પૂરું કરી વિલાયત થઈને મહાત્માજી
હિંદુસ્તાન આવ્યા.? મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે
દક્ષિણ આફ્રિકાના આ વિજયી બેરિસ્ટરની
મુલાકાત લેવા માટે એક પારસી ખબરપત્રી છેક બંદર પર પહોંચી જઈને તેમને મળ્યો.
મુલાકાતીઓમાં સૌથી પહેલાં પહોંચી જવાની તેની હોંશ હતી.
તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું : ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે, તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો ? તમે શું એમ માનો છો કે
દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો ? અથવા એવું તો માનતા નથી ને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે ?
ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.
તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષમાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્વ સમજે છે એ જાણી સૌને સંતોષ થયો.
-કાકાસાહેબ કાલેલકર