પરિચય :
જાંબુ (જંબૂ, જામુન)ની બે મુખ્ય જાતો થાય છે. મોટી અને બીજી નાની. મોટા રાય જાંબુના ઝાડ ઊંચા થાય છે. તેની પર પીપળા કે આંબા જેવા લાંબા, ચીકણા, ચમકદાર પાન થાય છે. તેની પર વસંત ઋતુમાં લીલાશ પડતા સફેદ રંગના કે સોનેરી રંગના મંજરી રૂપ પુષ્પો આવે છે. ફળ (જાંબુ) ઊનાળાનાં અંતે કે વર્ષના પ્રારંભે અર્ધો થી ૨ ઈંચ લાંબા, ૧ થી ૧/૧-૨ ઈંચ જાડા, લંબગોળ, પાકે ત્યારે લાલ-રીંગણી રંગના, ઉપરથી મીઠા ગર્ભવાળા, વચ્ચે લંબગોળ ઠળિયાવાળા થાય છે. નાના (ક્ષુદ્ર) જાંબુડા નદી કાંઠે કે જંગલોમાં થાય છે. ગર્ભ બહુ ઓછો, થોડા વધુ ખાંટા, ઠળિયા લગભગ ગોળ અને રંગે કાળા કે ઘેરા જાંબલી થાય છે. આ જાંબુ ગ્રાહી (સંકોચક) અને વાયુકર્તા વધુ હોય છે. જાંબુના ઠળિયા ડાયાબિટીસમાં ખાસ વપરાય છે. જાંબુનો સરકો, શરબત, આસવ બને છે.
ગુણધર્મો :
જાંબુડી : મધુર, તૂરી, ગ્રાહી, પાચક, મળ અટકાવનાર, લૂખી તથા રૂચિકર છે. તે કૃમિ, શ્વાસ, શોષ, ઝાડા, ખાંસી, કફ, લોહી વિકાર તથા વ્રણનાશક છે. મોટાં (રાય) જાંબુ – મધુર – તૂરાં અલ્પ ખાટા, રૂચિકર, ભારે, મળ અટકાવનાર અને શ્રમ, ઝાડા, કફ – ખાંસી અને શ્વાસ, શોષનો નાશ કરે છે. તે પિત્ત, દાહ નાશક અને ભૂખ – પાનકર્તા, યકૃત (લીવર) ઉત્તેજક, ખાસ વધુ વાયુકર્તા કે વાયુનાં દર્દીએ ન ખાવા. જાંબુનો સરકો – અજીર્ણ, આફરો, મંદાગ્નિ, લીવર – બરોળ વૃદ્ધિ અને પેટનાં દર્દોમાં અને જામ્બ્વારિષ્ટ કે જાંબવાસવ ડાયાબિટીસ, લોહીના હરસ કે ઝાડા, ઉદર રોગ અ સંગ્રહણી અને પિત્તનાં રોગોમાં લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :
(૧)
ગરમીની અળાઈ : જાંબુના ઠળિયાનો પાઉડર પાણીમાં કાલવી લગાવો.
(૨)
લોહીના ઝાડા : જાંબુડીના પાનના રસમાં મધ, ઘી અને દૂધ મેળવી પાવું કે ઠળિયાનું ચૂર્ણ – સાકર સાથે પાણીમાં દેવું.
(૩)
મધુપ્રમેહ (ડાયાબિટીસ) : જાંબુનાં ઠળિયા, આમળા અને હળદરનું ચૂર્ણ બનાવી રોજ સવાર – સાંજ લેવું.
(૪)
ઝાડા : જાંબુડીની છાલ કે પાનનો રસ કાઢી પાવો.
(૫)
પિત્ત (ગરમી) વિકાર : જાંબુડીની છાલના રસમાં દૂધ મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત બહાર આવશે. પછી ઘી, સાકર અને ભાત ખાવા આપવા.
(૬)
ઊલટી બંધ કરવા : કફ-પિત્ત દોષની ઊલટીમાં જાંબુડીની છાલની રાખ મધમાં ચટાડવી.
(૭)
પેટમાં વાળ કે લોખંડની વસ્તુ ગઈ હોય તો પાકા જાંબુ રોજ ખાવાથી તે નાશ પામે.
(૮)
આમાતિસાર, દુર્ગંધીત ઝાડા, ભારે ઝાડા : જાંબુની છાલ અને કડાછાલને બોરકુટ કરી, ઉકાળો કરી, ચોથો ભાગ રહેથી તેમાં ખાંડ નાંખી, તવેથાને ચોંટે તેવું ચાટણ બનાવી લો. તે રોજ ૧૦ ગ્રામની માત્રામાં લેવાથી લાભ થાય.
(૯)
સગર્ભાના ઝાડા : જાંબુડાની છાલ અને આંબાની છાલ ૨૦-૨૦ ગ્રામ લઈ, ખાંડીને ૧૬ ગણા પાણીમાં ચતુર્થાંશ રહે તેવો ઉકાળો કરી, તેમાં ધાણા-જીરું ૫ ગ્રામ અને સાકર ઉમેરી દિનમાં ૨-૩ વાર પાવું.
(૧૦)
મોંના છાલા – ગરમી જાંબુની છાલ કે પાનનો ઉકાળો કરી, તેનાં કોગળા મુખમાં ભરી, થુંકી નાંખવા.