પરિચય :
આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં એનો ઓછો કે વધુ ઉપયોગ થાય છે જ. પ્રત્યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે. ઘણી બધી તકલીફોમાં એ ઉપયોગી છે, પરંતુ આપણે એનો જોઇએ તેટલો લાભ લેતા નથી. એના ઉપયોગથી અનેક તકલીફોનું નિવારણ થઇ શકે છે. કેન્સરની શરૂઆતમાં પણ તેનો સામનો કરવા કેટલેક અંશે તે સમર્થ છે.
ગુણધર્મ :
આદુ પાચક, સારક, અગ્નિદીપક અને રુચિકર છે. તે ગળાને સ્વસ્થ રાખે છે. તેમજ સોજો, કફ, વાયુ, ખાંસી, દમ, કબજિયાત, પેટનો વાયુ તેમજ શૂળની તકલીફ દૂર કરે છે.
ઉપયોગ :
(૧) મંદાગ્નિ ઉપર : જમવાનું શરૂ કરતાં પહેલાં ત્રણ-ચાર નાની ચમચી આદુના રસમાં લીંબુનાં છ-સાત ટીપાં નાખી તૈયાર કરેલું દ્રાવણ પીને તરત જ જમવાનું શરૂ કરી દેવું, જેથી પેટમાં દાહ થવા ન પામે.
(ર) ભૂખને પ્રદીપ્ત કરવા માટે : આદુ નાખેલી કોથમીરની લીલી ચટણી ખાવી.
(૩) શરદી ઉપર : ચા-કોફી વગેરેમાં આદુ નાખવું. (તે ઉકાળવા મૂકીએ ત્યારે જ તેમાં આદુ નાખી દેવું) કઢી બનાવતી વખતે તેમાં પણ આદુ કે આદુનો રસ નાખવો.
(૪) કફ અને ખાંસી ઉપર : આદુવાળી કઢી પીવી.
(૫) શ્ર્વાસ અને દમની તકલીફ ઉપર : દિવસમાં બે વખત એક-એક નાની ચમચી આદુનો રસ મધ નાખીને પીવો. લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે.
(૬) હ્રદયની ક્ષમતા વધારવા : નં. ૫ વાળો જ ઇલાજ કરવો.
(૭) કબજિયાત ઉપર : આદુનો ઉપયોગ કરવો.
૮) કેન્સરનો પ્રતિકાર કરવા માટે : આદુ અને લસણ બન્નેનો ઉપયોગ કરવો.
ચેતવણી :
લાંબો સમય ચાલે એવો ઇલાજ ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં કરવો. લોહીનું ઊંચું દબાણ, હોજરીમાં બળતરા અથવા એસિડિટી (અમ્લપિત્ત) ની તકલીફ હોય એવા રોગીઓએ આદુનો ઉપયોગ સમજી વિચારીને કરવો.