૧.પ્રબળ ઇચ્છાશક્તિ
વ્યક્તિની કોઈપણ કારણથી ઈચ્છાશક્તિ તૂટે ત્યારે તે કાર્ય કરી શકતો નથી અને કાર્ય ન કરવાનાં કારણો શોધે છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ઈતિહાસ રચ્યો છે અને માનવજાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગાંધીજીની આઝાદી માટેની પ્રબળ ઇચ્છાશક્તિએ ભારતના લોકોને જાગૃત કરી આઝાદી મેળવી. તેનસીંગ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ જીવસટોસટનાં સાહસો કરી પોતાનાં નામ અમર કરી દીધાં છે. ગરીબ કુટુંબમાં જન્મેલા પરંતુ પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા માનવોએ મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે અને હજારો માણસોને રોજી આપી છે.
૨. ઉમદા નિર્ણયશક્તિ
વ્યક્તિ જ્યારે નિર્ણય લઈ શકતી નથી અથવા તેની શક્તિ નથી હોતી ત્યારે તેને કાર્યની સૂઝ પડતી નથી અને અટવાઈ જાય છે. ઉમદા નિર્ણયશક્તિ દ્વારા વ્યક્તિ પોતાના કાર્યને વળગી રહે છે તથા તેનામાં દિશાસૂઝ હોય છે. સંજોગો અને કાર્યની જરૂરિયાત પ્રમાણે વ્યક્તિને નિર્ણય લેતા આવડતું હોય તો તે બીજાને માટે પણ પથદર્શક બની રહે છે. અમેરિકાની એક જાણીતી કંપનીએ ત્યારની નવી નવી જાપાનની સોની કંપનીના રેડિયો ઉપર પોતાનું બ્રાન્ડ નેમ રાખવાનો આગ્રહ રાખ્યો, પરંતુ સોનીના ડાયરેકટરે તેનો અસ્વીકાર કર્યો અને પછી આખા જગત ઉપર સોની કંપની છવાઈ ગઈ. યોગ્ય નિર્ણયથી ઘણા નેતાઓએ ભૂતકાળમાં દેશનો ઇતિહાસ બદલી નાખ્યો છે. આમ વ્યક્તિની ઉમદા નિર્ણયશક્તિ અને તે નિર્ણય પ્રમાણે જ કામ કરવાની પ્રબળ ઈચ્છા માનવીને જીવનમાં પ્રગતિ અર્પે છે.
૩. વિશ્વાસની શકિત
જે વ્યક્તિ વિશ્વાસની કિંમતી સમજે છે તે આ વિશ્વાસનો પૂરો ઉપયોગ કરી યોગ્ય વ્યક્તિઓ
પાસેથી કામ લઈ શકે છે. બીજાનો વિશ્વાસ કરી શકતો નથી તે સંઘબળ (ટીમ) પેદા કરી શકતો નથી. તેણે એકલાને જ ઝઝૂમવું પડે છે અને જિંદગીનાં બધાં કાર્ય એકલા હાથે થઈ શકતાં નથી. સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતાની જાતમાં વિશ્વાસ રાખવો પડતો હોય છે ત્યારે તે નાહિંમત થઈ કાર્યને છોડી દે છે. જો પોતાની જાત ઉપર વિશ્વાસ હોય પરંતુ બીજાઓ ઉપર વિશ્વાસ ન રાખે તો તે દરેક કાર્ય પોતે કરવાની જ આશા રાખે છે તો તે દરેક કાર્યને પહોંચી શકતો નથી અને કાર્યને બગાડે છે. ઘણા પિતા પોતાના પુત્રમાં વિશ્વાસ રાખતા નથી અને ધંધામાં યોગ્ય કાર્યભાર સોંપતા નથી. પરિણામે પુત્ર ધંધામાં રસ ગુમાવે છે અને પિતા-પુત્ર વચ્ચે વૈમનસ્ય આવે છે. પતિ-પત્ની? જ્યારે એકબીજામાં વિશ્વાસ ગુમાવે છે ત્યારે જીવનને કડવાશથી ભરી દે છે. વહેમ એ વિશ્વાસનો મોટો દુશ્મન છે. વહેમીલી વ્યક્તિઓ જલદી કોઈનો વિશ્વાસ કરી શકતી નથી. ભગવાનમાં પણ શ્રદ્ધા જરૂરી છે, પરંતુ તે અંધશ્રદ્ધા ન હોવી જોઈએ.
૪. હિંમતની શક્તિ
વ્યક્તિની ઇચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ હિંમત સિવાય અર્થહીન થઈ પડે છે. હિંમત હશે તો જ તે નિર્ણયનો અમલ કરી શકશે. નાની નાની મુશ્કેલીઓથી વ્યક્તિ ગભરાઈ જાય, અજાણી વ્યક્તિઓથી ગભરાઈ જાય, સરકારી લોકોથી અર્થહીન ગભરાય જાય તો વ્યક્તિ પોતાની
ધ્યેયસિદ્ધિ માટે નબળો સાબિત થાય છે અને તેથી તે પોતાના ધ્યેયને હાંસલ ન કરી શકે તેવું બની શકે. લાલબહાદુર શાસ્ત્રીએ હિંમત રાખી ચીન સાથે યુદ્ધનું આહ્વાન ઝડપ્યું અને તેઓ ભારતના લોકોના દિલમાં વસી ગયા. કોલંબસે હિંમત રાખી મુસાફરી ચાલુ રાખી અને નવા દેશને જગત સમક્ષ મૂક્યો. ક્રિકેટમાં ઘણા ખેલાડીઓની હિંમતભરી રમતે હારને જીતમાં પલટી નાખી છે. આ હિંમતની શક્તિને કારણે જ ઘણા કલાકારોએ હજારો વ્યક્તિઓને એકસાથે કાબૂમાં રાખી પોતાની કલાની લહાણી કરાવી છે.
૫. શિસ્તની શક્તિ
શિસ્તબદ્ધ વ્યક્તિ પોતાના કાર્યનું સારી રીતે નિયમન કરી શકે છે. શિસ્ત સૌથી પહેલાં વ્યક્તિએ પોતાના માટે રાખવાની હોય છે. શિસ્ત તેના જીવનને નિયમિત બનાવે છે. નિયમિત જીવનથી તે સમયનો સદ્દઉપયોગ કરતાં શીખે છે અને સમયનો સદ્દઉપયોગ તેને પ્રગતિ અર્પે છે. જ્યારે વ્યક્તિ સમૂહમાં કાર્ય છે. જ્યારે વ્યક્તિ સમૂહમાં કાર્ય કરતો હોય ત્યારે આ શિસ્ત એકતા જાળવી રાખે છે અને એકબીજાના સહયોગી બની ઉમદા કાર્ય કરે છે. આજે પરદેશમાં ટ્રાફિકની શિસ્તને કારણે વાહન ચલાવવું સરળ પડે છે. જ્યારે અમદાવાદમાં અશિસ્ત ટ્રાફિકમાં વાહન ચલાવવું અઘરું પડે છે અને મોટા ભાગના લોકોનો સમય બગડે છે. ભારતનું લશ્કર આજે ટીકાથી પર છે કારણ કે ત્યાં શિસ્ત છે, જ્યારે સરકારનાં બીજાં મોટા ભાગનાં ખાતાંઓની ટીકા થાય છે કારણ કે ત્યાં કાર્ય માટે અશિસ્ત છે.
૬. ખંતની શક્તિ
સફળ માનવીઓમાં એક સામાન્યપણે જોવા મળતો ગુણ છે, તે ખંતીલાપણું. જ્યારે ખંતીલો
સ્વભાવ માનવને હંમેશ કાર્યરત રાખે છે અને તે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. ઘણા
વૈજ્ઞાનિકોએ ખંત જાળવી અનેક શોધો કરી છે. અમુક શોધ કરવા માટે વર્ષો લાગ્યાં છે. અનેક નિષ્ફળતાઓ મળી છે, પરંતુ તેઓના ખંતીલા સ્વભાવે તેમના કાર્યને ધપાવે રાખ્યું અને તેઓ માનવજાતને અમૂલ્ય ભેટો આપતા ગયા છે. માનવીના ખંતીલા સ્વભાવે જ માનવીને ચંદ્ર સુધી પહોંચાડ્યો છે અને ભવિષ્યમાં કદાચ બીજા ગ્રહો ઉપર પણ પહોંચાડશે. ભારતમાં ઘણા ઉદ્યોગો ખૂબ નાના પાયા ઉપર શરૂ થયા છે અને ઉદ્યોગો સ્થાપનાર વ્યક્તિઓના ખંતીલા સ્વભાવે જ આ ઉદ્યોગોને વિરાટ બનાવ્યા છે. તેમના ખંતીલા સ્વભાવે પરદેશથી આવતી આયાતી ચીજો સામે ભારતીય અવેજી આપી ભારતને ધનને બચાવ્યું છે. સામાન્ય કુટુંબને દીપાવ્યું છે તો સામે પક્ષે ખંતના અભાવે ઘણા પૈસાદાર કુટુંબના નબીરાઓએ પોતાના કુટુંબને પાયમાલ કર્યું છે અને પોતે પણ પાયમાલ થયા છે.
૭. ફરજની શકિત
વ્યક્તિ એક કામ હાથ ઉપર લે ત્યારે તે પોતાની જવાબદારી અને ફરજને બરાબર સમજે છે તો તે કાર્યસંતોષ મેળવે છે અને નિષ્ફળતા મળે તો પણ તેનો કોઈ દોષ કાઢતું નથી. જ્યારે કોઈ ડોકટર તેની સારામાં સારી રીતે સારવાર કરવાની ફરજ બજાવે તો તે ડૉકટર દર્દીઓમાં પ્રિય થઈ પડશે અને તે દર્દી હંમેશ તે ડૉકટર પાસે જવાનો જ આગ્રહ રાખશે. એક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવો એ મારી જવાબદારી છે અને જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેનું વિચારે તો તે વિદ્યાર્થીને ભાગ્યે જ નિષ્ફળતા મળશે, ઘણા લોકો જીવનમાં આગળ નથી વધી શકતા તેનું એક અગત્યનું કારણ છે તેમની બેદરકારી. પોતાના રોજિંદા કાર્યથી કંટાળી તેઓ બેદરકાર બને છે અને પોતાની જવાબદારી બીજાના માથે ઢોળી દે છે. પરિણામે તેઓ પ્રગતિ સાધી શકતા નથી. ફરજપ્રિય વ્યક્તિ બદલાને ગણકાર્યા વગર પોતાની ફરજ નિભાવે છે.
૮. ઉત્સાહની શકિત
જે વ્યક્તિઓ જીવનમાં ઉત્સાહનું મહત્વ સમજે છે તે આનંદથી જીવન જીવી શકે છે. આવી
વ્યક્તિઓ હાથ ઉપર લીધેલ દરેક કાર્યને ઉત્સાહથી કરે છે. તેઓ કાર્યમાંથી આનંદ શોધી કાઢે છે. ઉત્સાહી સેલ્સમેન ગ્રાહકોને મિત્રમાં ફેરવી પોતાનો ધંધો વધાર્યે રાખે છે. ઉત્સાહી ડૉકટર પોતાના દર્દીને રોગ સામે ટક્કર ઝીલવાની પ્રેરણા આપે છે અને દવા વગર તેમનું દુઃખ અડધું કરી નાખે છે. ઉત્સાહી વકીલ પોતાના કલાયન્ટનો કેસ જેમ બને તેમ જલદી પતે તે રીતે કાર્ય કરે છે. ઉત્સાહી શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પોતાના મિત્ર જેવો બનાવી તેમને વધુ અને વધુ જ્ઞાન આપવા કોશિશ કરે છે. આમ ઉત્સાહી વ્યક્તિ બીજાઓને પણ ચેતનવંતા કરી મૂકે છે.
૯. પહેલકરવાની શક્તિ
જે વ્યક્તિ બીજા શરૂઆત કરે ત્યાં સુધી રાહ જુએ છે અથવા બીજાના અનુભવો ઉપરથી સલામતી શોધે છે, તેઓ જીવનમાં પડકાર ઝીલવા અસમર્થ બને છે, જે કંઈક નવું વિચારે છે અને નવા વિચારો અમલમાં મૂકવાની પહેલ કરે છે તેને સફળતા પ્રાપ્ત થઈ શકે છે.? શરૂઆતમાં મુશ્કેલીઓ આવે પરંતુ વખત જતાં તે તેમાંથી રસ્તો શોધી લે છે અને બીજાઓ માટે નવો ચીલો પાડે છે. આજે આપણને સારાં અને આધુનિક ઉત્પાદનો વાપરવા મળે છે, કારણ કે કોઈએ એમાં પહેલ કરી હતી. સોનીએ ‘વોકમેન‘(ટેપરેકોર્ડર) બનાવવાની પહેલ કરી અને બીજી કંપનીઓ તેને અનુસરી. કિશોરકુમારે પોતાની ઢબથી યોડલિંગની ભારતમાં શરૂઆત કરી અને કિશોરકુમાર ગાયક તરીકે છવાઈ ગયા. આમ જે નવાપણા માટે પહેલ કરે છે અને તે માટે હિંમત રાખે છે તે ઘણી વખત શ્રેષ્ઠ રહે છે.
૧૦. કૃતજ્ઞતાની શકિત
આ જગતમાં વ્યક્તિને બીજાનો સહારો લેવો પડે છે. મોટા પ્રોજેક્ટમાં કે નાના કાર્યમાં દરેક
વ્યક્તિને સીધી અથવા આડકતરી રીતે બીજાની મદદ લેવી પડતી હોય છે. આ મદદની સામે જે વ્યક્તિ આભારવશ બને છે તથા બીજાની સાચા દિલથી તેને માટે પ્રશંસા કરે છે તે વ્યક્તિ બીજા પાસેથી સરસ રીતે કામ લઈ શકે છે. એટલું જ નહીં આનાથી સંઘભાવના મજબૂત બને છે. તમે પગાર આપો છો એટલે સામેની વ્યક્તિનો આભાર માનવાની જરૂર નથી એ અભિમાનયુક્ત માન્યતા ખોટી છે. જ્યારે સામેની વ્યક્તિનો સાચા દિલથી આભાર માનવામાં આવે ત્યારે તે વ્યક્તિનો કાર્ય કરવા માટેનો ઉત્સાહ વધે છે અને સંબંધો સુર્દઢ થાય છે. અબ્રાહમ લિંકન નાનામાં નાની વ્યક્તિનો પણ આભાર માનવાનું ભૂલતા ન હતા.
૧૧. કલ્પનાશક્તિ
વ્યક્તિ પોતાની કલ્પનાશક્તિનો યોગ્ય ઉપયોગ કરે તો કાર્યને સંપૂર્ણ કરવાના અનેક રસ્તાઓનું તેને દર્શન થાય છે. કલ્પનાશક્તિ વ્યક્તિને સર્જનાત્મક બનાવે છે. માનવને કલ્પના આવી કે પક્ષી ઊડી શકે છે તો હું કેમ નહીં? અને વિમાનની મુસાફરી શક્ય બની. વ્યક્તિને થયું, ‘ચિત્રો દોરવાને બદલે ર્દશ્યોને ઝીલી કેમ ન શકાય ?‘ તેમાંથી ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી વગેરે આધુનિક ઉપકરણો શોધાયાં. તે જ પ્રમાણે કોઈ માનવે કલ્પના કરી કે, ‘આપણા અવાજને શા માટે ઝીલી ન શકાય?‘ અને એડીસને એ કલ્પનાને રેકોર્ડ સ્વરૂપે સાકાર કરી. તે કલ્પનાશક્તિનો ઉપયોગ થવાથી આપણને સારાં શ્રાવ્ય સાધનો મળવા લાગ્યાં છે અને માનવનો અવાજ માનવના હાવભાવ વગેરેને અમરી કરી શક્યાં છે. આ જ કલ્પનાશક્તિએ આપણને આધુનિક કમ્પ્યુટર આપ્યાં છે. દરરોજનાં કાર્યોમાં કલ્પનાશક્તિનો ઉપયોગ કરી તેને ઝડપથી અને સહેલાઈથી પૂર્ણ કરી શકાય છે.
તમારી કલ્પનાશક્તિ વિકસાવશો તો જ તમારી શક્તિઓ તમે વિકસાવી શકશો.