વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્ત ખોરાક સૌથી મહત્વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્તી મહેસૂસ કરવા તથા સ્વસ્થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્સ અનુસરો.
(૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્ચે વચ્ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે.
(૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ફળ, શાકભાજી, ફણગાવેલા કઠોળ, સૂકામેવા વગેરે જેવા કુદરતી ખોરાક ખાવા માટે આદર્શ છે. તે આપણા વિકાસ, તંદુરસ્ત સ્વાસ્થ્ય, સારી રોગપ્રતિકારાત્મક શકિત વગેરે માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.
(૩) રોજ દિવસમાં ૮- ૧૦ ગ્લાસ પાણી, હર્બલ ટી વગેરે જેવા પ્રવાહી પીવાં. એ બધાં શરીરમાંથી ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે.
(૪) નાસ્તામાં સલાડ, ફળો, ખાંડ વગરનું ઓછી ચરબીવાળું દહીં, અનાજના બિસ્કિટ વગેરે જેવો સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવો.
(૫) તમારા ખોરાકને વધુ પડતો કુદરતી અને ઓર્ગેનિક રાખો. એડેટિવ્સ અને પ્રિઝર્વેટિવ જેવા કેમિકલવાળા ખોરાકનો બને ત્યાં સુધી ત્યાગ કરો.
(૬) માખણ, મલાઈયુકત દૂધ અને સલાડ ડ્રેસિંગ વગેરે બને તેટલા ટાળવા, પરંતુ કુદરતી ફેટી એસિડ ધરાવતા ઓલિવ ઓઈલ અને સૂકા મેવા જેવા પદાર્થોની ખોરાકમાંથી બાદબાકી પણ ન કરવી. અલબત્ત, આ પદાર્થોનો પણ અતિરેક ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું.
(૭) બ્રેડ, બિસ્કિટ, પાસ્તા, પોલિશ કરેલા ચોખા જેવા સફેદ લોટની વાનગીઓ તથા પ્રોસેસ્ડ ફૂડ અને નાસ્તામાં વપરાતા ખાંડવાળા અનાજ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવો. સૌથી પહેલા તો તેમાં ફાઈબર બિલકુલ ન હોવાથી પચવામાં ભારે પડે છે અને બીજું તે આપણા શરીરના ઈન્સ્યુલીનના સ્તરને હાની પહોંચાડી બિનજરૂરી ચરબી જમા કરે છે.
(૮) નિયમિત ધોરણે ઘરે કે જિમમાં જઈ કસરત કરો અથવા અરોબિક્સ કે શ્રમભર્યુ કોઈ કામ કરો. યોગા અને ધ્યાન દ્રારા માનસિક તણાવ દૂર કરો. સાથે જ સારી ઊંઘ અને આરામ પણ લો.
(૯) ઠંડાં પીણાં અને ફળોના તૈયાર રસ જેવા મીઠાશયુકત પીણાંનો વપરાશ ન કરો તેમ જ મીઠાઈ, ડેઝસ્ટ અને તળેલા નાસ્તાથી પણ દૂર રહો.
(૧૦) ખોરાકને તળવાને સ્થાને બાફીને, શેકીને, ગ્રીલ કે રોસ્ટ કરીને ખવાય તેવી પધ્ધતિ અપનાવો.
વજન જાળવી રાખવાની ટિપ્સ
(૧) નિયમિત નાસ્તો કરો.
(૨)નિયમિત વજનનું ધ્યાન રાખો (જરૂર પડે તો રોજ).
(૩) રોજ ૬૦ મિનિટ કસરત કરો , જેથી શરીરમાંથી ૪૦૦ કેલરી ઓછી થાય.
(૪) ચાલવું એ વજનને કાબૂમાં રાખવાની સૌથી પ્રખ્યાત કસરત છે.
(૫) જમવામાં સ્વાસ્થ્યવર્ધક કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરો અને લો ફેટ ડાયેટ અપનાવો.
(૬) શરીરમાં કેલરીના પ્રમાણ પર કાબૂ મેળવો. એવું ભોજન ખાવું, જેથી રોજ શરીરમાં ૧,૪૦૦ કેલરી જ જાય.